સૂર્યશકિત કિસાન યોજના – ખેડૂતમિત્રો માટે સૂર્યશકિતથી વીજ ઉત્પાદનની યોજના

ખેડૂતમિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગયા અઠવાડિયે સૂર્યશક્તિ કિસાન યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના થકી  ખેડૂતો પોતાના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન કરી શકશે અને ઉત્પાદન કરેલ વીજળી ઉપયોગ ખેતીમાં કરી શકશે. આ ઉપરાંત વધારાની વીજળીને વીજનિગમ ને વેચીને વધારાની આવક મેળવી શકશે.

યોજનાની વિગતો

  • ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઇ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે.
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે. ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩૫ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે.
  • લોનનો સમયગાળો ૭ (સાત) વર્ષનો રહેશે.
  • એક હોર્સ પાવર દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. (એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧૨.૫ કિલોવોટની પેનલ અપાશે) – પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦ x ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશે.
  • જો કોઇ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઇચ્છતા હોય, તો નિયમોને આધિન રહી મંજૂરી અપાશે.
  • વધારાની પેનલોથી ઉત્પન્ન થતી વીજળી રૂા. ૩.૫૦ પ્રતિ યુનીટના દરથી ખરીદવામાં આવશે. અને તેના પર રાજ્ય સરકારની સબસીડી મળવાપાત્ર થશે નહી.
  • સ્કાય ફીડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે. સ્કાય ફીડર ઉપર દિવસે ૧૨ કલાક વીજળી મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહીં જોડાય તેને ૮ (આઠ) કલાક વીજ પુરવઠો મળશે.
  • વીજળીનું ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં સાત વર્ષ માટે રૂા. ૭/- પ્રતિ યુનિટ ખેડૂતને ચૂકવવામાં આવશે. જે પૈકી રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે. બાકીના રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ (૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો. પ્રતિ વર્ષની મર્યાદામાં) ખેડૂતને રાજ્ય સરકાર સબસીડી રૂપે ચૂકવાશે.આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઇ થયા બાદ જે બચત થશે તે ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે.
  • ૭ વર્ષના લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂ. ૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે.

યોજનાથી ખેડૂતમિત્રોને લાભ

  • વીજ બિલમાં રાહત મળશે.
  • ગ્રીડમાં વધારાની વીજળી વેચવાથી ખેડૂતને કાયમી આવક મળશે.
  • દિવસ દરમ્યાન ૧૨ કલાક વીજ પુરવઠો મળી રહેશે જ લોન ભરપાઇ થયા પછી સોલાર સિસ્ટમની માલિકી ખેડૂતની થશે.
  • સોલાર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે.
  • સોલાર સિસ્ટમ માટે ૭ વર્ષ માટે ગેરંટી તથા મેઈન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે.
  • સોલાર પેનલની જગ્યા નીચેની જમીન પર પાક પણ લઇ શકાશે. પેનલની ઊંચાઇ વધારવી હોય તો પણ વધારી શકાશે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.