જીવાત નિયંત્રણ વ્યવસ્થામાં પિંજરપાકનું (trap crop) મહત્વ

આધુનિક ખેતીમાં વધુ પાક ઉત્પાદન મેળવવા માટે પાક સંરક્ષણ એક અગત્યનું અને અનિવાર્ય અંગ બની ગયું છે તેમ કહીએ તો પણ કાંઈ ખોટું નથી. પાક સંરક્ષણની વાત થાય એટલે ખેડૂતોના મનમાં સેો પ્રથમ જંતુનાશક દવાનો વિચાર આવે તે સ્વાભાવિક છે કારણ કે અત્યાર સુધી ખેતીમાં પાક સંરક્ષણ ક્ષેત્રે જંતુનાશક દવાઓનું ખબ જ પ્રભુત્વ રહેલ હતું પરતું છેલ્લા બે દાયકાથી ઝેરી જંતુનાશક દવાઓની માનવજીવન તથા પર્યાવરણ પરની આડઅસરને લીધે લોકોમાં જાગ્રુતતા આવી છે અને તેના ઉપયોગ પર થોડો ઘણો અંકુશ આવેલ છે. જંતુનાશક દવાઓના ઉપયોગ સિવાય પણ જીવાતોનું કેટલેક અંશે નિયંત્રણ કરી શકાય છે.

આવી રીતે થતાં જીવાત નિયંત્રણને બિન રાસાયણિક પદ્ધતિથી થતું નિયંત્રણ કહે છે. તે પૈકી જીવાતના જીવનક્રમ અને તેની ખાસિયત / રહેણીકરણીને ધ્યાનમાં રાખી ખેતી પદ્ધતિમાં ફેરફાર કરી જીવાતની વસ્તી અને તેની આર્થિક ક્ષમ્ય માત્રા (થેશહોલ્ડ) કરતા નીચી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેને કર્ષણ નિયંત્રણ (કલ્યર કટ્રોલ ) કહે છે. કેટલીક જીવાત અમુક ખાસ પ્રકારના પાક પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે . ખેતરમાં મુખ્ય પાકને જીવાતથી બચાવવા માટે ખાસ હેતુસર આવા પાકને ફરતે વચ્ચે અથવા તો પસંદગીપાત્ર વવાતા પાક્ને પિંજર પાક (ટ્રેપ ક્રોપ , trap crop ) કહે છે. આવા પિંજરપાક પર જીવાત પુરતા પ્રમાણમાં આકર્ષાતા તેના પર યોગ્ય કીટનાશક દવાનો છટકાવ કરીને કે પિંજર પાકને ઉખાડી નાશ કરવાથી મુખ્ય પાકને જીવાતના આક્રમણથી બચાવી શકાય છે.

કૃષિ વેજ્ઞાનિકોએ શોધખોળના પરિપાકરૂપે કટલાક અગત્યના ખેતીપાકો માટે આવા પિંજરપાકની ઓળખ કરેલ છે. તે પૈકી અમુક જીવાત ભીંડાના પાકને વધુ પસંદ કરે છે. કપાસની બે હાર વચ્ચે ભીંડાનું વાવેતર કરવાથી કાબરી (ટપકાંવાળી) ઈયળ કપાસના પાક કરતા ભીંડાના પાકમાં વધુ નુકસાન કરતી જોવા મળે છે. જ્યારે કાબરી ઈયળનો ઉપદ્રવ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે ત્યારે ભીંડાના પાક પર કીટનાશક દવાનો છટકાવ કરીને કે તેને ઉપાડી નાશ કરવાથી કપાસના પાકમાં કાબરી ઈયળનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. જો કાબરી ઈયળનો ઉપદ્રવ વધુ ન હોય તો ભીંડાની શિંગો ઉતારી વધારાની આવક મેળવી શકાય છે.

તમાકુની પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા) કે જે મોટા ભાગના ખેતીપાકોમાં નુકસાની કરતી નોંધાયેલ છે. કપાસના પાકમાં આ જીવાત પાન કાપી ખાઈને પુષ્કળ પ્રમાણમાં નુકસાન કરે છે. કપાસના ખેતરને ફરતે દિવેલાના પાન પર આ ઇયળ ઇંડા મુકવા આકર્ષાય છે. દિવેલાના પાન પરથી આવા ઈંડાઅોના સમૂહ અથવા તો તેની પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહને એકઠા કરી તેનો નાશ કરવાથી કપાસના પાકમાં આ જીવાતનો ઉપદ્રવ ઘટે છે. આ સિવાય કપાસના ખેતરની આજુબાજુ પીળા ફૂલવાળા ગલગોટા (હજારી) નું વાવેતર કરવાથી લીલી ઈયળ (હેલીકોવર્પા) ની માદા ફુદી આવી પિંજર પાક પર ઈંડા મૂકવાનું પ્રથમ પસંદ કરે છે. તેથી કપાસના આખા ખેતરમાં દવા ના છાંટતા જ્યારે જરૂર જણાય઼ ત્યારે આવા પિંજરપાક પર નાના વિસ્તારમાં દવા છાંટવી. આ સિવાય જુવાર કે મકાઈના પાકમાં પર્ણચક્ર (પાનની ભૂગળી) માં મોલોના પરભક્ષી લેડીબર્ડ બીટલ (દાળિયાં)ની ઈયળ અને પુષ્ટ કીટકની સંખ્યા સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. આવા પરભક્ષી કીટકો કપાસના પાકમાં મોલોની વસ્તીનું કુદરતી રીતે નિયંત્રણ કરતા હોય છે.

અગાઉ જણાવ્યું તેમ તમાકુની પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા) ની માદા ફુદી ઈડા મુકવા માટે દિવેલાના પાન વધારે પસંદ કરે છે. તમાકુના ધરુવાડીયામાં તે ખૂબ જ અગત્યની જીવાત ગણાય છે. તેથી તમાકુના ધરુવાડીયાને ફરતે એકાદ મીટરના અંતરે દિવેલાના બી થાણવા અને આવા દિવેલાના પાન પરથી ઈંડા અને પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ વીણીને નાશ કરવાથી તમાકુના ધરુવાડીયાને જીવાતના આક્રમણથી બચાવી શકાય છે.

ચોમાસાની ઋતુનો પ્રથમ સારો વરસાદ થતાં જમીનમાંથી કાતરાની સંખ્યાબંધ કૂદીઓ બહાર નીકળી આવે છે અને શેઢા પાળા પર ઉગેલા ઘાસ પર ઇંડા મુકે છે. આ ઇંડા સેવાતા તેમાંથી નીકળતી નાની ઈયળો શરૂઆતમાં ઘાસ અને નીંદણના પાન ખાય છે અને ત્યાર બાદ ખેતરમાં ઉગેલ પાકમાં ઉતરી પાકમાં નુકસાન કરે છે. ચોમાસુ ઋતુમાં જુવાર, બાજરી, મકાઈ જેવા પાકને કાતરાથી બચાવવા પાકને ફરતે શણનું વાવેતર કરવું કે જે કાતરાનો સૌથી પ્રિય ખોરાક છે. આમ કરવાથી કાતર શણ ખાય ત્યાં સુધીમાં ઈયળ અવસ્થા પૂર્ણ થતાં કોશેટા અવસ્થા પ્રાપ્ત કરી લે છે અને મુખ્ય પાક બચી જાય છે. આ ઉપરાંત કાતરાના વધુ ઉપદ્રવ વખતે આવા પિંજરપાક (શણ) ને કીટક સાથે જ જમીનમાં દબાવી દેવાય .

ટામેટીના પાકમાં લીલી ઈયળથી પુષ્કળ પ્રમાણમાં નુકસાન થાય છે. ટામેટીના પાકની આજુબાજુ અને પાકની વચ્ચે ઢાળીયા પર પીળા ફૂલવાળી આફ્રિકન મેરીગોલ્ડ (હજારી ગોટા)નું વાવેતર કરવાથી તેના ફૂલ ઉપર લીલી ઈયળની માદા કુદી ઈંડા મુકવાનું વધુ પસંદ કરે છે. આવા ફૂલોને નિયમિત રીતે છોડ પરથી વીણી લેવાથી ટામેટીના પાકમાં જીવાતનો ઉપદ્રવ ઘટે છે. વધુમાં આવા ફૂલોનો વેચાણ તરીકે ઉપયોગ કરી વધારાની આવક પણ મેળવી શકાય છે. આવી રીતે ટામેટી અને હજારીના છોડનું સાથે વાવેતર કરવાથી ટ્રાઈકોગ્રામા ચીલોનીસ નામની ભમરી કે જે લીલી ઇયળનાં ઇંડા પર પરજીવીકરણ કરે છે તેની વસ્તીમાં વધારો થાય છે. આમ થતાં પરજીવીકરણનું પ્રમાણ પણ વધે છે.

કોબીજના પાકની આજુબાજુ રાઈ અથવા અસાળિયાનું વાવેતર કરવાથી કોબીજમાં નુકસાન કરતી લીલી ઈયળ (હીરાકુદુ) નો ઉપદ્રવ ઓછો કરી શકાય છે.

આાંબા અને ચીકુના પાકમાં ફળમાખીનો ઉપદ્રવ એક ગભીર સમસ્યા છે. ફળમાખીના નર, તુલસીમાં રહેલ મિથાઈલ યુજીનોલ નામના રસાયણ તરફ આકષતિા હોઈ આાંબા અને ચીકુની વાડીમાં શયામ તુલસીના છોડનું વાવેતર કરવું. આવા તુલસીના છોડ પર ફેન્થીયોન ૦.૧ ટકા છટકાવ કરવાથી ફળમાખીના નર દવાના સંપર્કમાં આવતા નાશ પામે છે અને આમ તેની વસ્તીમાં ઘટાડો થાય છે. નર ફળમાખીની વસ્તી ઘટતા માદા ફળમાખી જે કંઈ ઇંડા મૂકશે તે અફલિત ઇંડા હશે જેમાંથી કીડા નીકળશે નહીં અને પરિણામે ફળમાં તેનાથી થતું નુકસાન અટકી જશે.

આમ પિંજરપાકનો ઉપયોગ કરી મુખ્ય પાક પરની જીવાતની વસ્તી ઘટાડવાનો જે હેતુ છે તે ખેડૂતો માટે ખૂબ જ આશિર્વાદરૂપ છે કારણ કે તેને અપનાવવા માટે ખાસ કોઈ આવડત (ટેકનીક)ની જરૂર પડતી નથી. તેથી શક્ય હોય ત્યાં તેનો અમલ કરી સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થાના અભિગમને પરિપૂર્ણ કરવો જોઈએ.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.