કયા શિયાળુ પાકને કેટલું પિયત જોઇએ (winter crop irrigation)

મિત્રો, આજે દિવસેને દિવસે ટપક પિયતનો વ્યાપ વધતો જાય છે. વળી, આ પિયત પદ્ધતિથી ખર્ચ પણ ઘટે છે અને ઉત્પાદન પણ વધુ મળે છે પરંતુ ટપક પિયત પદ્ધતિ વસાવી શકાય તેમ ન હોય તો વૈજ્ઞાનિકોએ ભલામણ કરેલ પાણ જ પાકને આપવા. આવો થોડી વિગતથી વાત કરીએ શિયાળુ પાક માટે પિયત પાણીની (winter crop irrigation).

ઘઉં

મિત્રો, શિયાળું મોસમમાં જે પાક વવાય છે તેમાનો સૌથી વધુ વવાતો પાક એટલે ઘઉં, સૌરાષ્ટ્ર વિસ્તારની મધ્યમ કાળી છીછરી જમીનમાં ઓરવણ ઘઉં લોક-૧ ને કુલ ૧૦ પિયત આપવાથી સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. પ્રથમ પિયત વાવેતર વખતે અને બીજું પિયત વાવેતર બાદ પ થી ૬ દિવસે, ત્રીજું પિયત વાવેતર બાદ ર૧ થી રર દિવસે અને બાકીના પિયત ૮ થી ૧૦ દિવસે આપવા. મિત્રો, આ તો થઇ સૌરાષ્ટ્ર વિસ્તારની મધ્યમ કાળી છીછરી જમીનમાં ઘઉને કેટલા પાણ આપવા તેની વાત. હવે વાત કરીએ અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાંના દક્ષિણ તરફનાં થોડાં ભાગની. પિયતના પાણીની સવલત સારી છે એવાં ખેડૂતોએ ઘઉંના પાકને ૧૪ પિયત આપવાથી (અઠવાડીયાના અંતરે) ર૦ ટકા વધુ દાણાનું ઉત્પાદન તેમજ વધારાનો ચોખ્ખો નફો મેળવી શકાય છે પરંતુ ચોખા વળતરને ધ્યાનમાં લેતા ૯ પિયત આપવા હિતાવહ છે.

રાઈ

શિયાળામાં લેવાતા તેલીબિયાનાં પાકોમાં રાઇના વાવેતર આજે પણ સારા એવાં વિસ્તારમાં થાય છે. રાઇની વરૂણા અને ગુજરાત રાઇ – ૧,૨, ૩ નામની જાતો સારૂ ઉત્પાદન આપે છે. ઓક્ટોબરના પ્રથમ પખવાડીયામાં વવાતા આા પાકને સાત પિયત આપવાની ભલામણ વિજ્ઞાનિકોએ કરેલી છે. પ્રથમ પિયત વાવેતર વખતે, બિજું ૬ દિવસનાં અંતરે અને બાકીનાં પાંચ પિયત ૧ર થી ૧૫ દિવસના અંતરે આપવા. લડાઇ-ઝઘડા કરનારા કેટલાંય એક મહાવરો બોલતા હોય છે તને કોની રાઇ ભરાઇ છે ઇ કહેને પરંતુ આપણા કૃષિકારો તો સીધા-સાદા અને રાઇ વિહોણા છે.

ચણા

ચણાનો પાક પણ આજે રાજ્યમાં સારાં એવાં વિસ્તારમાં વવાય છે. ગુજરાત ચણા-૧, ૨, ૩, દાહોદ પીળા અને ચણા, ચાફાની જાતો ચણાતું સારૂં ઉત્પાદન આપે છે. પોરબંદરનો ઘેડ વિસ્તાર તો ચણાનાં પાક માટે જાણિતો છે. આ વિસ્તારમાં જીવાતનો ઉપદ્રવ વધી પડે ત્યારે હેલીકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતો. તે વખતના આ વિસ્તારનાં અગ્રણી અને પછી કૃષિમંત્રી બનેલા મહંતશ્રી વિજયદાસજી આ માટે ખૂબ જ જહેમત ઉઠાવતા. આજે તો ચણાના પોપટા ખાવાનું પ્રમાણ પણ વધ્યું છે તે માટે કોઠાસૂઝથી શોધેલ નાનકડી ખપાળી જેવાં હાથ ઓજારથી ચણાના પોપટાને ફટાફટ જૂદા કરી શકાય છે. ઓકટોબર-સપ્ટેમ્બર માસમાં વવાતા ચણાના પાકને કુલ પ પિયત આપવાથી સારૂં ઉત્પાદન મેળવી શકાય છે. તેમાં પ્રથમ પિયત વાવેતર સમયે, બીજું વાવેતર બાદ ૬ થી ૮ દિવસે, ત્રીજું, ચોયું અને પાંચમું પિયત વાવેતર બાદ અનુક્રમે રપ, ૪પ, અને ૭૦ વિવસે આપવું.

ઇસબગુલ

મરીમસાલાના પાકોમાં ઇસબગુલનું ઔષધિય મહત્વ હોઇ તેનું સારા એવા વિસ્તારમાં વાવેતર થાય છે. ગુજરાત ઇસબગુલ ૧, ૨ અને ૩ જાતો વધુ ઉત્પાદન આપતી જાતો છે. નવેમ્બરનાં છેલ્લા અઠવાડીયાથી ડીસેમ્બરના પ્રથમ અઠવાડીયા સુધી તેનું વાવેતર થઇ શકે છે. આા પાકનું સારૂ ઉત્પાદન લેવા ૧૦ પિયત આપવાથી ભલામણ છે. પ્રથમ પિયત વાવેતર સમયે, બીજું વાવેતર બાદ ૬ દિવસે અને બાકીનાં ૮ પિયત ૧ર થી ૧૫ દિવસનાં અંતરે આપવા.

મિત્રો, આ તો થઇ કૂવા-બોર મારફત ધોરીયા પદ્ધતિથી અપાતા પિયતતી વાત. મિત્રો, કેટલાક પાકને ટપક દ્વારા પિયત આપવામાં આવે છે. આવો, વાત કરીએ આવા કેટલાંક પાકોની.

શેરડી

શેરડીનું વાવેતર સૌરાષ્ટ્રમાં તો કોડીનાર, ઉના, તાલાલા વિસ્તારમાં જ થાય છે. આા પાક વધુ પાણીની જરૂરીયાતવાળો પાક હોઇ, દક્ષિણ ગુજરાતનાં વિસ્તારમાં વધુ વવાય છે. દક્ષિણ સૌરાષ્ટ્રનાં શેરડી ઉગાડતા ખેડૂતોને શેરડીનું વધુ ઉત્પાદન લેવા એકાંતરે દિવસે ટપક પિયત પદ્ધતિ અપનાવવાની ભલામણ કરવામાં આવે છે. આનાથી ૧૩ થી ર૦ ટકા પાણીનો બચાવ થાય છે. આ પદ્ધતિ ડીસેમ્બર, જાન્યુઆરીમાં ૭૨ થી ૮૧ મિનિટ, ફેબ્રુઆરી-માર્ચમાં ૧૧૭ થી ૧૩૨ મિનિટ, એપ્રિલ-જૂનમાં ૧ર૩ થી ૧૫૯ મિનિટ, જૂલાઇમાં ૧૧૧ મિનિટ સપ્ટેમ્બર – નવેમ્બરમાં ૯૩ – ૯૯ મિનિટ ચલાવવી.

નાળિયેર

ગુજરાતને લગભગ ૧૬૦૦ કિ.મી. જેટલો સાગરકાંઠો મળ્યો છે તેથી આ વિસ્તારનો મુખ્ય પાક નાળિયેર ગણાય છે. તે સાથે કળા જેવાં પાકો પણ સાગરકાંઠે સારા એવાં થાય છે. વેસ્ટ કોસ્ટ ટોલ જાતનું વાવેતર કરતા અને નીચી ગુણવત્તાવાળું પિયત પણ ધરાવતા ખેડૂતોને પુખ્ત વય (૪૦ થી ૫૦ વર્ષ)નાં ઝાડ દીઠ આર ટપકલીયા ગોઠવી માર્ચથી જૂન દરમ્યાન ૪૭ લીટર અને ઓક્ટોબર-ફેબ્રુઆરીમાં ૩૦ લીટર પાણી દરરોજ ટપક પદ્ધતિથી આપવાની સલાહ વિજ્ઞાનિકોએ આપી છે. આ પદ્ધતિથી ૪૭ ટકા પાણીની બચત થાય છે.

લસણ

લસણને મીની કૂવારાથી પાણી આપવાની ભલામણ કરાઇ છે. મીની સ્પ્રિંકલર વડે શિયાળું લસણને આ પદ્ધતિથી દર કલાકે ૩૫ લીટર પાણી આપવું. તે માટે ર.પ x ર.પ મીટરના અંતરે મીની કૂવારા ગોઠવી ૧.ર કિ./ચો.સે.મી. દબાણે રાખી એકાંતરે દિવસે (૧.૨ પિયત પાણી અને સંચયી બાષ્પીભવનનાં ગુણોત્તર પ્રમાણે ર કલાક અને ૪૩ મિનિટ સુધી ચલાવવાથી વધુમાં વધુ ચોખ્ખી આવક મેળવી શકાય છે. જ્યાં પિયત પાણીની અછત હોય ત્યાં ઉપરોક્ત પદ્ધતિ મુજબ જ ૧.૦ પિયત પાણી અને સંચયી બાષ્પીભવનનાં ગુણોત્તર પ્રમાણે એકાંતરે દિવસે ૧ કલાક અને પ૩ મિનિટ પિયત આપવાથી લસણનું અર્થક્ષમ ઉત્પાદન મેળવી શકાય છે.

મિત્રો, કુવા, બોરના તળ નીચા જતા જાય છે ત્યારે પિયતની ટપક પદ્ધતિ અને કૂવારા પદ્ધતિ વસાવવી ખૂબ જરૂરી છે. પાણીના પ્રત્યેક બુંદનું મહત્વ અનેરૂં છે, તેથી પિયત માટે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય તેવી પદ્ધતિ અપનાવવી જરૂરી છે. આ માટે વિવિધ પાકની કટોકટીની અવસ્થાઓ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. મિત્રો, પાણીની બચતવાળી ભલામણોને આપણે અનુસરીએ, તેમની ભલામણ મુજબ પાકને ભેજ જળવાઇ રહે તેટલું જ પાણી આપીએ. ક્યારાઓ છલકાવી દેવાથી ઉત્પાદન વધુ મળતુ નથી. વધુ પાણી આપવાથી વધુ ઉપજ મળશે તેવી માન્યતા પણ ભૂલભરેલી છે.

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.