પશુ વીમો (Cattle Insurance)

cow

જાનવરના મોત, કાયમી ખોડખાંપણ કાં તો સદંતર ઉત્પાદન બંધ થઈ જાય તેવા કિસ્સાઓમાં પશુ વીમા (cattle insurance) દ્વારા ખેડૂતોને રક્ષણ મળે છે. પરંતુ આપણા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વીમા ક્ષેત્રે ઘણી ઉદાસીનતા જોવા મળે છે. પશુવીમા સંબંધિત જાણકારી પણ ઘણી ઓછી છે અને ખેડૂતો પોતાના કિંમતી જાનવરોને વીમાથી રક્ષિત કરતાં નથી. આ લેખમાં પશુ વીમા વિષે સવિસ્તાર માહિતી આપવામાં આવેલ છે. 

પશુવીમાના ફાયદાઓ

પશુ માલિકને વીમાથી આવરેલ પશુનું આકસ્મિક અથવા કુદરતી અથવા અમૂક રોગ થવાથી અથવા તો સર્જીકલ ઓપરેશનને કારણે મોત થવાથી વીમાની રકમ મળવા પાત્ર થશે. પૂર જેવી અન્ય કોઈ કુદરતી આફતના કારણે જો મોત થયું હોય તો પણ વીમો મળવાપાત્ર થશે. અન્ય વૈકલ્પિક ફાયદો એ પણ રહેલ છે કે જ્યારે પશુ સંપૂર્ણ પણે ઉત્પાદન ના આપી શકે અથવા પશુમાં કોઈ કાયમી ખોડખાંપણ રહી જાય તેવા સંજોગોમાં પરમેનન્ટ (કાયમી) ડિસેબિલિટી કવર (પીટીડી) મળવા પાત્ર થશે. 

કેવા પશુઓનો વીમો લઈ શકાય

અત્રે જણાવેલ વિગતો ધરાવનાર જાનવર માટે પશુવીમો ખરીદી શકાય છે. 

  • દૂધાળ ગાયની ઉંમર ૨ વર્ષ અથવા પહેલા વિયાણથી ૧૦ વર્ષ સુધી 
  • દુધાળ ભેંસની ઉંમર ૩ વર્ષ અથવા પહેલા વિયાણથી ૧૨ વર્ષ સુધી 
  • આખલાની શારીરિક પુર્ણતા અથવા ૩ વર્ષથી ૮ વર્ષની ઉંમર સુધી 
  • પાડાઓની શારીરિક પુર્ણતા અથવા ૩ વર્ષથી ૧૨ વર્ષની ઉંમર સુધી 
  • વાછરડી/પાડી/વોડકીના પહેલા વિયાણ સુધી

પ્રીમિયમનો દર

  • વીમાના કવર અને ફાયદાઓના આધારે પ્રીમિયમનો દર અલગ અલગ રહેશે. (વિમિત રકમના ૧.૫ % થી ૪% સુધી)
  • ૮૦ કિ.મી.થી વધુ પશુના પરિવહન માટે મૂળ પ્રીમિયમમાં ૧% વધુ દર રહેશે.  
  • વિદેશી ઓલાદ માટે મૂળ પ્રીમિયમમાં ૨ % વધુ દર રહેશે.
  • પરમેનન્ટ ડિસેબિલિટી કવર (પીટીડી) માટે મૂળ પ્રીમિયમમાં ૧ % વધુ દર રહેશે. 

પ્રીમિયમમાં છૂટછાટ

નીચે જણાવેલ બે કિસ્સાઓમાં પ્રીમિયમમાં છૂટ મળવાપાત્ર છે. 

(૧) પશુની સંખ્યા પ્રમાણે છૂટછાટ

જો તમે ૫ થી વધારે પશુઓનો વીમો કરાવતા હોય તો પશુઓની સંખ્યા પ્રમાણે ૨.૫% થી ૨૦% સુધી વીમાના પ્રીમિયમમાં છૂટ મળી શકે.

(૨) નીચે જણાવેલ શરતોને આધીન રહી જો પોલિસી ૩ કે ૪ વર્ષ માટે લીધેલ હોય તો વીમાની રકમના પ્રીમિયમમાં ૧૫ % છૂટ મળી શકે અને જો ૫ વર્ષની પોલિસી લીધેલ હોય તો વીમાની રકમના પ્રીમિયમમાં ૨૦% સુધીની છૂટ મળી શકે. જેની શરતો આ પ્રમાણે છે.

  • લીધેલ વીમાના પ્રીમિયમનું અગાઉથી પુરેપુરું ચૂકવણું કરવું પડશે.
  • કલેમના કિસ્સામાં પ્રીમિયમ પરત મળશે નહી.
  • વિમાનો સમયગાળો પૂરા થયા બાદ વીમો મળશે નહી. 

વીમા પોલિસી લેતી વખતે રાખવી પડતી કાળજી

  • વીમો લેતા પહેલા નિયમો ખાસ વાંચવા કારણ કે દરેક વીમા કંપનીના નિયમો અલગ અલગ હોય શકે.
  • ટેગ નહી તો વીમો નહીં ખાસ યાદ રાખવું. કલેમ કરવા માટે વીમો લીધેલ હોય તે પશુના કાનમાં ટેગ હોવી જરૂરી છે. 
  • પોલિસી લેતા પહેલા અથવા તો પોલિસી લીધાના ૧૫ દિવસમાં પશુનું મોત થાય તો વીમો મળવાપાત્ર નથી. ક્લેમ કરવા માટે પ્રતિક્ષાસમય એટલે કે વેટિંગ પીરિયડ ૧૫ દિવસનો છે. જો વીમો અંગેનો દાવો વીમાં લીધાના ૧૫ દિવસ સુધીમાં કરવામાં આવશે તો કંપની કલમની કાર્યવાહી કરશે નહિ. 
  • જાણી જોઈને કરેલ કૃત્ય અથવા લાયકાત ન ધરાવતા વ્યક્તિ પાસે પશુની સારવાર કરાવી હોય અથવા જાણી જોઈને પશુ પાસે વધુ ભાર વાહન કરાવ્યો હોય અથવા અમાનવીય રીતે પશુને મોત આપ્યું હોય તેવા સંજોગોમાં વીમો મળવાપાત્ર નથી. 
  • કંપનીને લેખિતમાં જાણ કર્યા વગર ફોર્મમાં દર્શાવેલ ઉપયોગ સિવાય પશુનો અન્ય રીતે ઉપયોગ કરેલ હોય તો પણ વીમો મળવાપાત્ર નથી. 
  • હેતપૂર્વક અથવા બેદરકારીને કારણે પશુનું મોત થાય તો વીમો મળવાપાત્ર નથી. 
  • પશુને દરિયાઈ માર્ગ અથવા તો હવાઈ માર્ગે મુસાફરી કરી લાવેલ હોય તો વીમો મળાપાત્ર નથી.
  • પશુ કતલ કરેલ હોય અથવા ડૉકટરની જાણ કે પરવાનગી સિવાય પશુની કાપકૂપ કરેલ હોય તો વીમો મળવાપાત્ર નથી. 
  • ચોરી અથવા ગુપ્ત રીતે પશુ વેચી દીધેલ હોય તો વીમો મળવાપાત્ર નથી.
  • પશુ ખોવાયેલ હોય તો પણ વીમો મળવાપાત્ર નથી.
  • યુદ્ધ, ત્રાસવાદ જેવા કિસ્સામાં પણ વીમો મળવાપાત્ર નથી.

પોલિસી ખરીદવા માટે જરૂરી દસ્તાવેજ

પશુ વીમાની પોલિસી ખરીદવા માટે પશુપાલકો નીચે જણાવેલ દસ્તાવેજ વીમા કંપનીને આપવા જરૂરી છે. 

  • યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ દરખાસ્ત ફોર્મ 
  • વેટરીનરી ડૉકટરનું પશુના સ્વાથ્ય અને માર્કેટ વેલ્યુ માટેનું પ્રમાણપત્ર.
  • પશુ ખરીદેલ હોય તો પૈસા ભર્યાની રસીદ
  • પશુના ફોટોગ્રાફ

કલેમ અંગેની કાર્યવાહી

પશુના મોતના કિસ્સામાં વીમાની રકમ લેવા માટે નીચે જણાવેલ કાર્યવાહી કરવી જરૂરી છે. સૌથી પહેલા પશુના મોતની જાણકારી વીમા અધિકારીને આપો, ત્યારબાદ વેટરીનરી ડૉકટરને પોસ્ટમોર્ટમ માટે બોલાવવા, વીમા અધિકારી પશુના ઈયર ટેગ તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરશે અને વેટરીનરી ડૉકટર દ્વારા પ્રમાણિત પોસ્ટ મોર્ટમનું ફોર્મ લેશે, મૃત પશુના જરૂરી ફોટા પણ લેશે. ત્યારબાદ તમારા પશુનો કલેમ આગળ પ્રોસેસ થશે અને કલેમ પાસ થયે માલિકને જાણકારી આપીને કલેમની ચૂકવવા પાત્ર રકમ કંપની પશુ માલિકને ચૂકવશે. 

કલેમની પ્રોસેસ માટે જરૂરી દસ્તાવેજ નીચે મુજબ છે.

  • યોગ્ય રીતે ભરેલ કલેમ ફોર્મ.
  • વેટરીનરી ડૉકટર દ્વારા અપાયેલ પશુના મોત અંગેનું પ્રમાણપત્ર
  • પોલિસી દસ્તાવેજ
  • ઈયર ટેગ

નોંધ : કલેમની પ્રોસેસ માટે કંપનીનું છાપેલ ફોર્મ વાપરવું. 

સ્ત્રોત : એચડીએફસી કંપનીની લાઈવસ્ટોક(કેટલ) ઈસ્યોરન્સ

સફ્ળકિસાનની વેબસાઈટ પર નવી માહિતી વિશે તમારા ફોન પર સુચના (નોટીફિકેશન) મેળવવા માટે અહિં ક્લિક કરો.

નોંધ: ફોન પર સુચના મેળવવા માટે તમારા ફોન પર 'ટેલેગ્રામ' એપ હોવી જરૂરી છે. તમે આ એપ ગુગલ પ્લે-સ્ટોર થી ડાઉનલોડ કરી શકો છો.

હવે તમે પણ સફળકિસાનની વેબસાઈટ દ્વારા અન્ય કિસાનમિત્રો સાથે માહિતી શેર કરી શકો છો. માહિતી કેવી રીતે આપવી એ જાણવા માટે અહીં જુઓ.

તમે અન્ય કિસાનમિત્રોએ આપેલ માહિતી ખેડૂતો માટે,ખેડૂતો દ્વારા પર જોઈ શકો છો.